જ્ઞાતિ-સમાજના છ પ્રકારના લોકો...

જ્ઞાતિ-સમાજનાં સંસ્થા-મંડળોના વહીવટ વિશે તથા વહીવટકર્તાઓ વિશે થોડીક વાતો કરી અગાઉ હતી. આજે એવાં સંસ્થા-મંડળ અને તેના વહીવટકર્તાઓ સાથે સમાજના લોકો તરફથી કેવા વ્યવહારો થતા હોય છે એની વાત કરવી છે.

સામાન્ય રીતે દરેક સમાજમાં છ પ્રકારના લોકો હોય છે : એક પ્રકાર એવો છે કે જે પોતે કશું જ કામ કરવા કે સમાજ માટે સહેજ પણ ઘસારો વેઠવા તૈયાર નથી હોતો, છતાં તે વહીવટ કરનારાઓની ભૂલો શોધી-શોધીને, ખણખોતર કરી-કરીને એની માત્ર ટીકા જ કર્યા કરતો હોય છે. આ વર્ગના લોકો ખામીઓ શોધવામાં એટલા બધા એક્સપર્ટ હોય છે કે કોઈ પણ સારામાં સારા કાર્યમાંથી પણ કંઈક તો નેગેટિવ બાબત શોધી જ બતાવે ! એવું કરે ત્યારે જ એમને સંતોષ થાય ! દૂર બેઠાબેઠા પથરા નાખવાનો ઉદ્યમ તેમને માફક આવી ગયો હોય છે. એમનું લક્ષ્ય ટીકાઓ કે વિરોધ કરતા રહીને પોતાનું ઇમ્પોર્ટન્સ પુરવાર કરવાનું જ હોય છે.

બીજા પ્રકારના લોકો દૂર બેઠા-બેઠા વણમાગી ડાહી ડાહી સલાહો આપવાનું શૂરાતન બતાવતા રહે છે. એમની ફેમિલીમાં એમની સલાહને ભલે કોઈ ગાંઠતું ન હોય, પણ સમાજની સંસ્થા કે મંડળને તેઓ વારંવાર (મોંઘેરી ?) સલાહ આપતા રહે છે : તમારે આમ કરવું જોઈએ અને તમારે તેમ કરવું જોઈએ ! તમારે આમ ન કરવું જોઈએ અને તમારે તેમ ન કરવું જોઈએ...! પોતાને જે તે વિષયનું નોલેજ હોય કે ન હોય, પણ ગાઈડન્સ આપવા તેઓ હંમેશાં રઘવાયા બનીને થનગનાટ કરતા રહેતા હોય છે. અલબત્ત, પોતે ક્યારેય કોઈપણ કાર્યક્રમ કે પ્રવૃત્તિ માટે સક્રિય કે સહભાગી થવા તૈયાર હોતા નથી... એમને તો બસ, વાતોનાં વડાં કરીને જ મોટાભા થવાનું વ્યસન વળગેલું હોય છે.

ત્રીજો એક વર્ગ એવો હોય છે કે જેને પરંપરાનું પૂછડું પકડી રાખવાનું બહુ અનુકૂળ આવે છે. એવા લોકો જ્ઞાતિ કે સમાજ માટે નવા યુગની નવી કોઈ વાત સહન કરવાનું તો ઠીક, સાંભળવાનું પણ સાહસ કરી શકતા નથી ! આગળથી જેમ ચાલ્યું આવે છે એમ જ ચલાવવાનું તેમને મંજૂર હોય છે. એમને ગઈકાલનું વાસી અને સડેલું ભોજન જ ભાવે છે. ફ્રેશ ભોજન એમને પચતું નથી હોતું. સમય સાથે બદલાવાની તેમની દાનત, નિયત અને ઓકાત નથી હોતી. ડગલે ને પગલે તેઓ ખોટા ખર્ચનાં પલાખાં માંડવા બેસી જાય છે : આટલો બધો ખર્ચ કરવાની શી જરૂર છે ? એ માટે પૈસા ક્યાંથી લાવશો ? દાતાઓએ દાનમાં આપેલી રકમ વાપરી નાખશો તો ભવિષ્યમાં સંસ્થાને તાળાં મારવાં પડશે !' - એવી એવી દહેશત બતાવે છે. ક્યારેક તેઓ એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે આપણે કાંઇ સુધારાવાદી થવું નથી. સુધારો કરવા જઈએ અને એનાં માઠાં પરિણામ આવે તો એ માટે જવાબદાર કોણ ? એવો હાઉ ઊભો કરવાની એમને બહુ મજા પડતી હોય છે. આવા લોકોની સૌથી મોટી વિડંબના એ હોય છે કે જો વહીવટ કરનારાઓ તેમની ડિમાન્ડ્સ ન સ્વીકારે તો પછી નારાજ થઈને તેઓ સમાજના પોતાને અનુકૂળ આવે એવા સમૂહમાં બેસીને ખાનગીમાં વિદ્રોહ કે વિરોધનો વંટોળ પેદા કરવાની લુચ્ચાઈ શરૂ કરે છે.

ચોથો એક વર્ગ એવો હોય છે જે વહીવટદારો સાથે ખૂબ સમજણપૂર્વક અને અત્યંત સહાનુભૂતિપૂર્વક ન્યુટ્રલ બીહેવ કરે છે. વહીવટદારની કોઈ ભૂલ થઈ હોય તો એને મોટું મન રાખીને માફ કરે છે. એ હંમેશાં એમ વિચારે છે કે જે માણસ કામ કરે એની જ ભૂલ થઈ શકે. જેણે કશું કામ કરવું જ નથી એની ભૂલ થવાની તો સંભાવના પણ શાની હોય ? પોતાની
કામ નહીં કરવાની મર્યાદાઓ તેઓ સારી રીતે જાણતા હોવાથી જે લોકો કામ કરતા હોય છે તેમને એપ્રિસિએટ કરવાનું તેઓ પસંદ કરે છે.

સમાજનો પાંચમો વર્ગ એવો છે કે જે દરેક બાબતમાં પોઝિટિવ રહે છે. સમાજના કોઈપણ કાર્ય માટે વહીવટદારને આર્થિક હૂંફ અને શાબ્દિક પ્રોત્સાહન આપતા રહે છે. આ પાંચમા પ્રકારના લોકોને કારણે જ સામાજિક સંસ્થાઓ અને મંડળો કાર્યરત રહી શકે છે અને પોતાની સૂઝ તથા આવડત પ્રમાણે નાનીમોટી પ્રવૃત્તિઓ કરી શકે છે. આવા સાચા કર્મવીરોને માન-સન્માનની ઝાઝી પરવા પણ હોતી નથી. તેઓ તો પોતાની પારિવારિક સંસ્કારિતા અને ખાનદાની બતાવીને સામાજિક કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન રહે છે. આવા લોકોની શ્રીમંતાઈ અને એમનું વડીલપણું સમાજનું ભવિષ્ય અને સમાજનું ગૌરવ પણ બને છે.

એમ તો દરેક જ્ઞાતિ-સમાજમાં એક છઠ્ઠો વર્ગ પણ હોય જ છે. એ વર્ગ ના તો કોઈની ટીકા કરે છે, કે ના તો કોઈને પ્રોત્સાહિત કરે છે. ગુજરાતીમાં એક કહેવત છે : 'મહેતા મારે પણ નહીં અને ભણાવે પણ નહીં !' બસ, એવી જ રીતે સંસ્થા કે મંડળનો પરિપત્ર મળે એટલે કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત થઈ જાય... ખાય-પીએ અને ગણ્યાગાંઠ્યા બે-ચાર જણા સાથે તદ્દન ફોર્મલી હાય-હેલ્લો કરે... પછી પોતાના ઘેર જઈને સૂઈ જાય ! એવા લોકો માત્ર હાજરી પુરાવવા માટે જ આવતા હોય છે. બાકી તો જ્ઞાતિ-સમાજ સાથે તેઓ બિલકુલ અસ્પૃશ્ય રીતે જોડાયેલા હોય છે.

Comments

Popular posts from this blog

ચવદાર તળાવ સત્યગ્રાહ...

એટ્રોસિટી એક્ટ એટલે શુ ?